અવકાશ સંશોધન
From Wikipedia, the free encyclopedia
અવકાશ સંશોધને બાહ્ય અવકાશના સંશોધન માટે ખગોળશાસ્ત્ર અને અવકાશ ટેકનોલોજીનો ઉપયોગ છે.[1] અવકાશમાં ભૌતિક સંશોધન માનવસહિત સ્પેસફલાઈટ અને રોબોટિક અવકાશયાન એમ બંને દ્વારા કરવામાં આવે છે. અવકાશીય પદાર્થોના નિરીક્ષણના વિજ્ઞાન ખગોળશાસ્ત્રનું અસ્તિત્વ ભરોસાપાત્ર રીતે નોંધાયેલા ઇતિહાસ પહેલાંનું છે, પરંતુ 20મી સદીમાં પ્રવાહી ઈંધણ ધરાવતા મોટા રોકેટ એન્જિનની શોધ થયા બાદ અવકાશનું ભૌતિક સંશોધન વાસ્તવિકતા બન્યું. અવકાશીય સંશોધનના સામાન્ય કારણોમાં વૈજ્ઞાનિક શોધખોળ, વિવિધ દેશોનું જોડાણ, માનવજાતના ભવિષ્યના બચાવની ખાતરી અને અન્ય દેશો સામે લશ્કરી અને વ્યૂહાત્મક સરસાઇ વધારવા માટેનો સમાવેશ થાય છે. ઘણીવાર અવકાશીય સંશોધનની અનેક રીતે ટીકા કરવામાં આવે છે.
અવકાશીય સંશોધનનો ઉપયોગ ઘણીવાર શીત યુદ્ધ જેવી ભૂરાજકીય દુશ્મનાવટમાં આડકતરી હરીફાઇ તરીકે પણ કરવામાં આવે છે. અવકાશીય સંશોધનનો પ્રારંભિક યુગ સોવિયેત યુનિયન અને અમેરિકા વચ્ચેની અવકાશીય દોડ દ્વારા આલેખાયેલો છેઃ યુએસએસઆર દ્વારા ઓકટોબર 4, 1957ના રોજ પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલા પ્રથમ માનવ ર્સિજત પદાર્થ સ્પુટનિક-1 અને અમેરિકાના અપોલો-11 ક્રાફટ દ્વારા જુલાઈ 20, 1969ના રોજ ચંદ્ર પર કરવામાં આવેલા પ્રથમ ઉતરાણને આ પ્રારંભિક ગાળાની સીમારેખા માનવામાં આવે છે. સોવિયેટ અવકાશ કાર્યક્રમએ ઘણાં સીમાચિહ્નો પ્રથમ વખત સિદ્ધ કર્યા હતા, જેમ કે 1957માં ભ્રમણકક્ષામાં પ્રથમ જીવિત વસ્તુને મોકલવી, 1961માં પ્રથમ માનવસહિત અવકાશીવિમાન (યુરી ગાગારીને વોસ્ટોક-1માં સફર કરી), 1965માં પ્રથમ સ્પેસવોક (એલેકસેઈ લેનોવ દ્વારા), 1966માં અન્ય અવકાશી પદાર્થ પર પ્રથમ ઓટોમેટીક ઉતરાણ અને 1971માં પ્રથમ સ્પેસ સ્ટેશન (સાલયુટ-1).
આશરે 20 વર્ષના અવકાશીય સંશોધન બાદ, અવકાશીય સંશોધન માટેનું કેન્દ્રબદુ કાંઈક નવું જાણવા માટે મોકલવામાં આવતી ફલાઈટથી હટીને સ્પેસ શટલ પ્રોગ્રામ જેવા રીન્યુએબલ હાર્ડવેર પર અને સ્પર્ધાને બદલે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સહિતના સહકાર પર કેન્દ્રિત થયું.
1990થી ખાનગી લાભને કારણે અવકાશ પ્રવાસન અને ત્યારબાદ ચંદ્ર પરના ખાનગી અવકાશીય સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવ્યું. (જુઓ જીએલએકસપી).
ઈ.સ.2000માં ચીને માનવસહિત સ્પેસફલાઈટના સફળ કાર્યક્રમનો પ્રારંભ કર્યો, જયારે યુરોપીયન યુનિયન, જાપાન અને ભારતે પણ ભવિષ્યમાં માનવસહિતના યાનની અવકાશી યાત્રાના કાર્યક્રમો ઘડેલા છે. અમેરિકાએ 2018સુધીમાં ચંદ્ર પર ફરી પાછા જવાનું અને ત્યાર બાદ મંગળ પર જવાનો નિર્ધાર વ્યકત કરેલો છે.[2][3][4] 21મી સદી દરમિયાન ચીન, રશિયા, જાપાન અને ભારતે ચંદ્ર પરના માનવ યાત્રાની તરફેણ કરી છે, જયારે યુરોપીયન યુનિયને 21મી સદીમાં ચંદ્ર અને મંગળ બંને પર માનવ યાત્રાની તરફેણ કરી છે.[5]