દાદાસાહેબ ફાળકે પુરસ્કાર
પુરસ્કાર / From Wikipedia, the free encyclopedia
દાદાસાહેબ ફાળકે પુરસ્કારએ સિનેમાના ક્ષેત્રમાં ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા ફિલ્મ સમારોહ નિદેશાલય (ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ) દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેને પ્રસ્તુત કરવામાં આવે છે. પુરસ્કાર પ્રાપ્તકર્તાને "ભારતીય સિનેમાની વૃદ્ધિ અને વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન" માટે સન્માનિત કરવામાં આવે છે[1] અને ભારતીય ફિલ્મ ઉદ્યોગની જાણીતી હસ્તીઓની બનેલી સમિતિ દ્વારા તેની પસંદગી કરવામાં આવે છે.[2] આ પુરસ્કારમાં સ્વર્ણ કમલ, એક શાલ અને ₹૧,૦૦૦,૦૦૦ (૧૩,૦૦૦ યુએસ ડોલર)નું રોકડ ઇનામ સામેલ છે.[3]
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર | |
---|---|
ભારતીય સિનેમામાં યોગદાન માટે રાષ્ટ્રીય પુરસ્કાર | |
પુરસ્કારનો હેતુ | "ભારતીય સિનેમાની વૃદ્ધિ અને વિકાસમાં ઉત્કૃષ્ટ પ્રદાન" |
પુરસ્કાર આપનાર | ફિલ્મ સમારોહ નિદેશાલય |
ઇનામી રકમ |
|
પ્રથમ વિજેતા | ૧૯૬૯ |
છેલ્લા વિજેતા | ૨૦૨૦ |
તાજેતરના વિજેતા | આશા પારેખ |
ઝાંખી | |
કુલ પુરસ્કાર | ૫૨ |
પ્રથમ વિજેતા | દેવિકા રાણી |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
૧૯૬૯માં સૌપ્રથમ વખત પ્રસ્તુત કરવામાં આવેલો આ પુરસ્કાર દાદાસાહેબ ફાળકેના ભારતીય સિનેમામાં પ્રદાનની યાદમાં ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.[4] ફાળકે (૧૮૭૦-૧૯૪૪), કે જેઓ "ભારતીય સિનેમાના પિતામહ" માનવામાં આવે છે, તેઓ એક ભારતીય ફિલ્મ નિર્માતા હતા જેમણે ભારતના પ્રથમ પૂર્ણ-લંબાઈના ચલચિત્ર, રાજા હરિશ્ચંદ્ર (૧૯૧૩)નું નિર્દેશન કર્યું હતું.[1]
આ પુરસ્કાર મેળવનાર પ્રથમ અભિનેત્રી દેવિકા રાણી હતા, જેમને ૧૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૨૨ સુધીમાં, ૫૨ ફિલ્મી હસ્તીઓને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અભિનેતા પૃથ્વીરાજ કપૂર (૧૯૭૧) અને અભિનેતા વિનોદ ખન્ના (૨૦૧૭)ને મરણોત્તર આ પુરસ્કાર એનાયત થયો છે.[5] પૃથ્વીરાજ કપૂરના અભિનેતા-ફિલ્મ નિર્માતા પુત્ર રાજ કપૂરે ૧૯૭૧માં ૧૯મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં તેમના વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો અને ૧૯૮૭માં ૩૫મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં તેઓ પોતે પણ પ્રાપ્તકર્તા હતા.[6][7][lower-alpha 1]
પ્રાપ્તકર્તાઓમાં ભાઈ-બહેનની કેટલીક જોડીઓનો પણ સમાવેશ થાય છે, જેમને વિવિધ વર્ષોમાં આ એવોર્ડ મળ્યો હતો, ઉદાહરણ તરીકે: બી. એન. રેડ્ડી (૧૯૭૪) અને બી. નાગી રેડ્ડી (૧૯૮૬);[10] રાજ કપૂર (૧૯૮૭) અને શશી કપૂર (૨૦૧૪);[11] લતા મંગેશકર (૧૯૮૯) અને આશા ભોંસલે (૨૦૦૦);[12] બી.આર.ચોપરા (૧૯૯૮) અને યશ ચોપરા (૨૦૦૧).[13]
પીઢ અભિનેત્રી આશા પારેખને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૦ માટે ૬૮મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.[14]