ભારત માતા
દેવીના સ્વરૂપમાં ભારતનું રાષ્ટ્રીય વ્યક્તિત્વ / From Wikipedia, the free encyclopedia
ભારત માતા (હિન્દી થી સંસ્કૃત भारताम्बा; અમ્બા અંબે એટલે મધર, જેને અંગ્રેજીમાં મધર ઈંડિયા પણ કહેવામાં આવે છે) એ ભારત દેશના માતા કે દેવી તરીકેનું વ્યક્તિકરણ અથવા અવતાર છે.[1] તેમને સામાન્ય રીતે ભારતીય રાષ્ટ્રધ્વજ ધરાવતી, કેસરી સાડી પહેરેલી સ્ત્રી તરીકે દર્શાવવામાં આવે છે. કેટલીકવાર તે સિંહ સાથે હોય છે.[2]
ભારત માતા શબ્દ આધુનિક સાહિત્યમાં ૧૯મી સદીના અંતમાં બંગાળમાં મળે છે. તે બંગાળી ભાષાની લોકપ્રિય નવલકથા આનંદમઠ (૧૮૮૨)માં હિન્દુ દેવીઓ દુર્ગા અને કાલીથી અવિભાજ્ય સ્વરૂપે બહોળા પ્રમાણમાં શ્રોતાઓ સુધી પહોંચ્યો હતો. ૧૯૦૫માં બંગાળ પ્રાંતના વિવાદાસ્પદ વિભાજન બાદ સર સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા આયોજિત બ્રિટિશ બનાવટની ચીજવસ્તુઓના બહિષ્કાર દરમિયાન તેમને વ્યાપક માન્યતા મળી હતી.[3] વિવિધ વિરોધ સભાઓમાં, તે વંદે માતરમ્ (હું માતાને નમન કરું છું) જયઘોષના નારામાં પ્રતિધ્વંધિત થાય છે.
ભારત માતાને ૧૯૦૪માં અવનીન્દ્રનાથ ટાગોરે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ સાથે સંકળાયેલી શૈલીમાં ચાર શસ્ત્રધારી દેવી તરીકે ચીતર્યા હતા, પરંતુ ઘણે અંશે તેને હિન્દુ ધર્મના પૌરાણિક વૈદિક દેવી શક્તિના વિવરણો પર આધારિત માનવામાં આવે છે, જે એક સર્વોચ્ચ દેવીનો અવતાર છે અને આ ચિત્ર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
૧૯મી સદીના અંત સુધીમાં, બ્રિટીશ રાજ દ્વારા તૈયાર કરવામાં આવેલા અને ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે પર આધારિત ભારતના નકશાઓ વ્યાપકપણે ઉપલબ્ધ થયા હતા. નકશાની પૃષ્ઠભૂમિ સાથે, ભારત માતા ૧૯૦૯માં કવિ સુબ્રમણ્યમ ભારતીના તમિલ ભાષા-સામયિક વિજયાના મુખપૃષ્ઠ પર પ્રકાશિત થયા હતા. એ પછીના દાયકાઓમાં તેઓ લોકપ્રિય કળાઓમાં - સામયિકોમાં, પોસ્ટરોમાં અને કેલેન્ડરોમાં – ભારતીય રાષ્ટ્રવાદનું પ્રતીક બનીને ભારતભરમાં પ્રગટ થયાં. ભારતમાં ભારત માતાના ઘણા જૂજ મંદિરો આવેલા છે. આ પ્રકારનું પ્રથમ ઉદ્ઘાટન મહાત્મા ગાંધીએ ૧૯૩૬માં વારાણસીમાં કર્યું હતું. આ મંદિરમાં તેના ભોંયતળિયે આરસપહાણમાં શિલ્પિત ભારતનો મોટો નકશો છે પરંતુ તેમાં મૂળરૂપમાં મૂર્તિ અથવા પ્રતિમાનો અભાવ છે. મંદિરની એક દિવાલ હિન્દી ભાષાના રાષ્ટ્રવાદી કવિ મૈથિલી શરણ ગુપ્ત દ્વારા ઉદ્ઘાટન માટે લખાયેલી એક કવિતાને પ્રદર્શિત કરે છે અને મંદિરને તમામ જાતિઓ અને ધર્મો માટે ખુલ્લું રાખવાની ઘોષણા કરે છે. મંદિરના મોટાભાગના મુલાકાતીઓ વિદેશી પ્રવાસીઓ છે.[4] ભારતીય મુસ્લિમોએ ભારતમાતાના નામનો જાપ કરવાનો વિરોધ કર્યો છે કારણ કે ઇસ્લામમાં માનવ સ્વરૂપોને દેવતા તરીકે રજૂ કરી શકાતા નથી.