રાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)
From Wikipedia, the free encyclopedia
ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એ રાજમાર્ગો કે ધોરીમાર્ગોનું જાળું છે જેનું પ્રબંધન અને દેખરેખ ભારત સરકારની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આ ધોરીમાર્ગો સને.૨૦૧૦માં 1,000 kilometres (620 mi)નાં સિમિત-વપરાશી એક્સપ્રેસમાર્ગો સહીત 70,934 kilometres (44,076 mi) જેટલાં મપાયાં છે. ૭૧,૦૦૦ કિ.મી. રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાંથી ૧૫,૦૦૦ કિ.મી. કરતાં વધુ ૪ થી ૬ લેન (માર્ગ)નાં અને બાકીનાં ૫૦,૦૦૦ કિ.મી. જેટલાં ૨ માર્ગનાં (૨ લેનનાં) છે.[1][2]
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) મોટાભાગનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ, સુધારા અને દેખરેખ માટેની મધ્યવર્તી સંસ્થા છે. એ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) હેઠળ કામ કરે છે. રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજના (NHDP) રાષ્ટ્રીય ધોરીમાર્ગોનાં પ્રબંધન અને દેખરેખ માટેનો મુખ્ય આયાસ છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ધોરીમાર્ગોનાં નિર્માણ, વિકાસ અને કર ઉઘરાવવા (ટોલ ટેક્ષ) અર્થે અનેક વાર જાહેર-ખાનગી ભાગીદારીનો નમૂનો (મૉડલ) અમલમાં લાવે છે.
નેશનલ હાઇવે ભારતમાં તમામ રસ્તાઓનો લગભગ ૨% ભાગ ધરાવે છે, પરંતુ વર્ષ ૨૦૧૦ સુધીમાં તેમણે કુલ રોડ ટ્રાફિકના ૪૦% નું વહન કર્યું. [1] મોટા ભાગના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બે લેન રસ્તા (દરેક દિશામાં એક સાથે એક વાહન પસાર થઇ શકે) ધરાવે છે, જોકે આમાનાં ઘણા માર્ગોનું ચાર,છ કે આઠ લેનમાં વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો અમુક ભાગ ટોલ રોડ છે. વર્ષ ૨૦૧૧ સુધીમાં 30,000 kilometres (19,000 mi)થી પણ વધારે નવા ધોરીમાર્ગો NHDPના ભાગ તરીકે આયોજન અથવા બાંધકામ હેઠળ છે. આમાં 2,600 kilometres (1,600 mi)થી પણ વધારેના બાંધકામ હેઠળના ભારતીય એક્સપ્રેસમાર્ગોનો સમાવેશ થાય છે.